ઝઘડિયાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવો : મુસ્લિમ સમાજ
ઝઘડિયામાં પાડોશીએ આચરેલાં દુષ્કર્મ બાદ 10 વર્ષીય સગીરાનું મોત થયું છે. આરોપીએ દિવાલની પાછળ લઇ જઇને ક્રુરતાપુર્વક દુષ્કર્મ કરી તેના ગુપ્તાંગમાં સળિયો નાંખી દીધો હતો. સળિયો છેક આંતરડા સુધી પહોંચી જતાં સગીરાની હાલત ગંભીર બની હતી અને તેને 8 દિવસ સુધી વડોદરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સેપ્ટિકના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવતાં બાળકીએ 8મા દિવસે દમ તોડી દીધો હતો. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજે દુષ્કર્મની ઘટનાને સખત શબ્દોમાં વખોડીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે. મંગળવારના રોજ મહંમદપુરા સર્કલ ખાતે પીડિતાને ન્યાય અપાવવા માટે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહયાં હતાં. તેમણે 2મિનિટ નો મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. આરોપીની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
રિપોર્ટર, અવિ સૈયદ, ભરૂચ